મનરેગા કૌભાંડ: દાહોદમાં સરકારી બાબુઓ સાથે મળીને એજન્સીએ સરકારનું કરોડોનું ફુલેકું ફેરવ્યું
દાહોદમાં નકલી NA કૌભાંડ બાદ મનરેગા માં કૌભાંડનો મામલો સામે આવ્યો છે.
નાણાકીય વર્ષ 2021 થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીયાના કુવા, રેઢાણા, ધાનપુરના સિમોઈમાં માત્ર દેખાડા પૂરતું કામ કરાયુંની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ધાનપુર- દે.બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દાહોદ પોલીસ દ્વારા 4 જેટલા ઈસમોની ધરપકડ કરાઈ છે.
આ કૌભાંડમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જે બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તો ત્રણ જગામની સ્થળ ચકાસણીમાં દેવગઢ બારીયાના 60.90 કરોડ તેમજ ધાનપુરના 10.10 કરોડ મળી કુલ 71 કરોડની ગેરરીતિ સામે આવી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે સમગ્ર જિલ્લાભરમાં મનરેગાના કામોની સ્થળ ચકાસણી અને મંજુર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડનો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે આ કૌભાંડ સામૂહિક યોજનાના હોય પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ જોડે લાયજીનિંગ રહી કામ કરવા એસઆઇટીની ટીમ બનાવી તપાસનો દોર લંબાવ્યો છે.