તરબૂચ-ટેટી સહિતના રોકડીયા પાક થકી રોકડી કમાણી કરતો બોડીઘોડી ગામનો પ્રગતિશીલ ખેડૂત પરિવાર
ગુજરાત સરકારનો આભાર કે ‘પ્લાસ્ટિક મલ્ચિંગ’ માટે ‘ક્રોપ કવર’ની સહાય ખૂબ સરળતાથી મળીઃ હિતેશભાઈ ભીમાણી

ગુજરાત સરકારનો આભાર કે ‘પ્લાસ્ટિક મલ્ચિંગ’ માટે
‘ક્રોપ કવર’ની સહાય ખૂબ સરળતાથી મળીઃ હિતેશભાઈ ભીમાણી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ડ્રીપ ઈરીગેશન થકી ૭૫ ટકા પાણી તેમજ મજૂરીના નાણાની મોટી બચત થઈ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સાફલ્ય ગાથા – સંદીપ કાનાણી
ગુજરાત સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાકીય સહાય, પાક પદ્ધતિમાં નવા અભિગમ તેમજ સિંચાઈની સુવિધા થકી અનેક ખેડૂતો સફળ રીતે ખેતી કરીને સમૃદ્ધ થઈ રહ્યા છે. અહીં વાત છે પડધરી તાલુકાના એક એવા ખેડૂત પરિવારની, જે છેલ્લા ત્રણ વર્ષથી માત્ર રોકડિયા પાકનું વાવેતર કરીને રોકડી કમાણીની સાથે કૃષિલક્ષી યોજનાની સહાયના લાભ મેળવીને પ્રગતિ કરી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામમાં ભાણજીભાઈ ભીમાણીનો પરિવાર ૨૮ વિઘા જેટલી જમીન ધરાવે છે. ભાણજીભાઈના પુત્રો હિતેશભાઈ તથા હરેશભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં પરંપરાગત પાકને બદલે તરબૂચ, ટેટી, ગલગોટા ફૂલ તેમજ શેરડી બિયારણના રોકડીયા પાક પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના થકી તેઓ ત્રણ વર્ષથી નોંધપાત્ર આવક રળી રહ્યા છે.
આ પરિવારે તરબૂચ-ટેટીના વાવેતરમાં ‘પ્લાસ્ટિક મલ્ચિંગ’ કરવા ‘ક્રોપ કવર’ હેઠળ રૂપિયા ૫૪ હજાર જેવી સરકારની સહાય પણ મેળવી છે. જેના માટે તેઓ ગુજરાત સરકારનો આભાર માને છે.
કેવી રીતે મળી યોજનાકીય સહાયની માહિતી? તે અંગે હિતેશભાઈ ભીમાણી કહે છે કે, રાજકોટ બાગાયત શાખાના અધિકારીઓનો સંપર્ક થતાં, તેમના તરફથી અમને વિવિધ યોજનાકીય સહાયની માહિતી મળી હતી. એ પછી અમે આ વર્ષે તરબૂચ અને ટેટીના વાવેતરમાં ‘ક્રોપ કવર’ માટે ‘પ્લાસ્ટિક મલ્ચિંગ’ કરવા અરજી કરી હતી. જેના માટે કુલ મળીને રૂપિયા ૫૩ હજાર જેવી રકમની સહાય અમને મળી છે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં કારેલાનો કાચો મંડપ કરવા માટે રૂ.૨૭ હજારની સહાય મળી હતી. ઉપરાંત ડ્રીપ ઈરિગેશન માટે પણ તેમને ૬૦ ટકા જેવી સહાય મળી છે.
યોજનાકીય સહાય કેટલી સરળતાથી મળે છે તે અંગે હિતેશભાઈએ આનંદ સાથે કહ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. આ યોજનાઓથી ખેડૂતોને મોટો ફાયદો થાય છે. યોજનાનો લાભ મેળવવા માટે અરજીમાં અમને કોઈ તકલીફ નથી પડી અને કોઈપણ અવરોધ વિના ખૂબ ઝડપથી અમારી સહાયની રકમ અમને બેન્ક ખાતામાં જ મળી છે.
સિંચાઈની વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, ગામની નજીકમાં કેનાલ છે અને ન્યારી-૨ સિંચાઈ યોજના થકી અમને સિંચાઈનું પૂરતું પાણી મળે છે.
તેઓ કહે છે, અમે કપાસ, મગફળી, તલ જેવા શિયાળુ પાક વાવતા જ નથી. છેલ્લા ત્રણ વર્ષથી એ બંધ કર્યું છે. હવે અમે તરબૂચ, ટેટી, ગલગોટા ફૂલ તેમજ શેરડીના બિયારણનું વાવેતર કરીએ છીએ. આ રીતે વર્ષમાં બે વાર પાક લઈએ છીએ.
પાકોના વેચાણ અંગે તેમણે કહ્યું હતું કે, તરબૂચ અને ટેટીનું અહીં ખેતરથી જ ‘બહુચરાજી ફાર્મ’ના નામથી વેચાણ કરીએ છીએ અને લોકો અહીંથી જ ખરીદી કરીને લઈ જાય છે. ક્યાંય વેચવા જવું નથી પડતું. વળી, શેરડીનું બિયારણ વેચતા હોવાથી પણ ખેડૂતો સામેથી ખરીદી કરવા આવે છે.
‘ટપક સિંચાઈથી મોટા લાભ થાય છે’, એમ જણાવતા તેમણે કહ્યું હતું કે, ડ્રીપ ઈરીગેશનના કારણે જમીન ભેજવાળી રહે છે. જેના કારણે ખેતરમાં પાવડા મારવા નથી પડતા. એટલે કે શ્રમિકો રાખવા નથી પડતા અને મજૂરીના નાણાની બચત થાય છે. વળી, ડ્રીપ ઈરીગેશનમાં ટપક પદ્ધતિથી ઓછા પાણીમાં લગભગ ૨૫ ટકા પાણીમાં જ સારો પાક થાય છે. એટલે કે, ૭૫ ટકા પાણીની બચત થાય છે.
ખેડૂતલક્ષી સહાય સરળતાથી મળવા બદલ તેમણે ગુજરાત સરકાર તેમજ બાગાયત વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.