સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને ૫૧ સ્થળોએ મળી રહ્યો છે યોગ અભ્યાસનો નિ:શુલ્ક લાભ
સ્વસ્થ જીવન શૈલી માટે યોગનું ખુબ મહત્વ, યોગ એ શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત
૦૦૦૦૦
સ્વસ્થ જીવન શૈલી માટે યોગનું ખુબ મહત્વ, યોગ એ શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય
૦૦૦૦૦૦
૦૦૦૦૦
યોગ વિશેષ:- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા- નિર્દેશ હેઠળ લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે સાથે જ વિવિધ પ્રકારની બીમારીઓથી બચે તે માટે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને ચરિતાર્થ કરવા માટે રાજ્યભરમાં પ્રયાસો થઈ રહ્યા છે.
સ્વસ્થ જીવન શૈલી માટે યોગનું પણ ખુબ મહત્વ રહેલું છે. યોગ એ શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગનું મહત્વ સમજી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરમાં યોગ દિવસ ઉજવવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. જેને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી છે.
ગુજરાતમાં યોગના મહત્વને સમજીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પણ સ્થાપના કરવામાં આવી છે. આ યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં નિ:શુલ્ક યોગ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને નિ:શુલ્ક યોગ અભ્યાસનો લાભ મળી શકે તે માટે જુદાજુદા ૫૧ જેટલા સ્થળોએ વિવિધ યોગ નિષ્ણાંતો દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તેમજ નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પણ માર્ગદર્શન પૂરું પડી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટિફાઇડ યોગ ટ્રેનર્સ દ્વારા નિ:શુલ્ક યોગ અભ્યાસ ચલાવવામાં આવે છે. જેમાં યોગ ઉપરાંત ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને લાઈફ સ્ટાઈલને લગતા વિવિધ ડિસઓર્ડર્સ હોય તેવા કિસ્સાઓમાં વ્યક્તિએ શું કરવાનું તે વિશે સમજાવી તે માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે.
મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, મનોરોગ જેવા વિવિધ રોગો પર યોગ થેરાપી વધુ અસરકારક સાબિત થઈ રહી છે. મોટાપો એટલે કે મેદસ્વિતા ઘણા બધા રોગોને નિમંત્રણ આપે છે, ત્યારે લોકોની મેદસ્વિતા ઘટાડવામાં યોગ પણ ખૂબ કારગર છે. નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી માટે નિયમિત રીતે યોગાસન, પ્રાણાયામ, ધ્યાનને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવવું જોઈએ.