તા.૨૧ મે ના રોજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાનો, તા.૨૨ મે ના રોજ જિલ્લા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાશે
જિલ્લા અને તાલુકા કક્ષાનાં પ્રશ્નો માટે તા.૧૦ મે સુધીમાં વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે

જિલ્લા અને તાલુકા કક્ષાનાં પ્રશ્નો માટે તા.૧૦ મે સુધીમાં વેબસાઈટ ઉપર
ઓનલાઈન અરજી કરવાની રહેશે
૦૦૦૦૦
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો પ્રશ્નો તથા ફરિયાદો સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી તરફથી ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.૨૧.૦૫.૨૦૨૫, બુધવારના રોજ ગ્રામ્ય કક્ષાનો તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. તા.૨૨.૦૫.૨૦૨૫, ગુરૂવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦.૦૫.૨૦૨૫ સુધીમાં ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો જે તે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પહોંચતા કરવાના રહેશે. તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા.૧૦.૦૫.૨૦૨૫ સુધીમાં swagat.gujarat.gov.in/cmog વેબ સાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”માં સમાવિષ્ટ કરવામાં આવશે નહી.
અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકાશે. બે કરતા વધુ પ્રશ્નો રજૂ થશે તો તેવા પ્રસંગે ફકત પ્રથમ રજૂ થયેલા બે પ્રશ્નો જ માન્ય ગણાશે. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ માટે અરજદારોએ તેઓની અરજી પ્રશ્નો બે નકલમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને મોકલવાની રહેશે.
વધુમાં, તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્યઓ ન હોય તેવી, નામ, સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝાની યાદીમાં જણાવાયું છે.