દેશમુખ્ય સમાચારરાજ્ય

આખા ગુજરાતમાં શૈક્ષણિક સામગ્રી મોકલવી બની વધુ સરળ અને સસ્તી: ભારત

સરકારના ટપાલ વિભાગની નવી સેવા ‘જ્ઞાન પોસ્ટ’

 

સરકારના ટપાલ વિભાગની નવી સેવા ‘જ્ઞાન પોસ્ટ’

.

સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટની જેમ જ ઝડપી અને ટ્રેક કરી શકાય એવી ટપાલ સેવા
એટલે ‘જ્ઞાન પોસ્ટ’ : ૧ મે ૨૦૨૫થી રાજ્યભરમાં સેવાનો થયો પ્રારંભ

………..

ભૌગોલિક અંતર કે આર્થિક મર્યાદાઓ જ્ઞાનપ્રાપ્તિમાં અવરોધ ન બને એ માટેનું આ
પગલું છે- ‘જ્ઞાન પોસ્ટ’ સેવાથી વાર્ષિક અંદાજે ૭૦ લાખ શિપમેન્ટની ડિલિવરી
થવાની અપેક્ષા છે: અમદાવાદ જીપીઓના પોસ્ટમાસ્ટર શ્રી એ. આર. શાહ

…….

ભારતીય ટપાલ વિભાગે શિક્ષણ અને જ્ઞાનના પ્રસારને વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ
પગલું ભર્યું છે. તારીખ ૧લી મે, ૨૦૨૫થી દેશભરની તમામ વિભાગીય પોસ્ટ ઓફિસોમાં 'જ્ઞાન
પોસ્ટ' નામની નવી મેલ પ્રોડક્ટ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ
પોસ્ટની જેમ જ ઝડપી અને ટ્રેક કરી શકાય એવી ટપાલ સેવા ‘જ્ઞાન પોસ્ટ’ રાજ્યની તમામ
પોસ્ટ પરથી મેળવી શકાશે.
આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો માટે પુસ્તકો,
અભ્યાસ સામગ્રી અને અન્ય માન્ય શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક સાહિત્યને અત્યંત ઓછા
ખર્ચે દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો છે.
અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસના ડેપ્યુટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી એ. આર. શાહે જણાવ્યું હતું કે
'જ્ઞાન પોસ્ટ' એ 'હર ઘર જ્ઞાન, હર સપને કો ઉડાન'ની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં
એક પગલું છે. ભૌગોલિક અંતર કે આર્થિક મર્યાદાઓ જ્ઞાનપ્રાપ્તિમાં અવરોધ ન બને એ માટેનું
આ પગલું છે. આ સેવાથી વાર્ષિક અંદાજે ૭૦ લાખ શિપમેન્ટની ડિલિવરી થવાની અપેક્ષા છે.

'જ્ઞાન પોસ્ટ' સેવાની મુખ્ય વિશેષતા એ છે કે, શૈક્ષણિક સામગ્રીના પેકેટોને ઓનલાઈન ટ્રેક કરી
શકાશે, જેથી પ્રેષક અને પ્રાપ્તકર્તા વસ્તુની સ્થિતિ જાણી શકે. ખર્ચને નિયંત્રણમાં રાખવા અને
સેવાને પોસાય તેવી બનાવવા માટે પેકેટોનું પરિવહન મુખ્યત્વે જમીન માર્ગે (સરફેસ મોડ)
કરવામાં આવશે. બુકિંગ સમયે ગ્રાહકને માન્ય રસીદ આપવામાં આવશે. વધારાની નિર્ધારિત
ફી ચૂકવીને પ્રેષક સહી સાથે ડિલિવરીનો પુરાવો (Proof of Delivery) મેળવી શકે છે.
'જ્ઞાન પોસ્ટ' સેવા ખાસ કરીને તેના અત્યંત ઓછા શુલ્ક માટે લોકપ્રિય બનશે તેવો તજ્જ્ઞોનો
મત છે. લાગુ પડતા કરવેરા સિવાયના દર નીચે મુજબ છે:
• ૩૦૦ ગ્રામ સુધી: ₹૨૦
• ૩૦૧ ગ્રામથી ૫૦૦ ગ્રામ સુધી: ₹૨૫
• ૫૦૧ ગ્રામથી ૧૦૦૦ ગ્રામ સુધી: ₹૩૫
• ૧૦૦૧ ગ્રામથી ૨૦૦૦ ગ્રામ સુધી: ₹૫૦
• ૨૦૦૧ ગ્રામથી ૩૦૦૦ ગ્રામ સુધી: ₹૬૫
• ૩૦૦૧ ગ્રામથી ૪૦૦૦ ગ્રામ સુધી: ₹૮૦
• ૪૦૦૧ ગ્રામથી ૫૦૦૦ ગ્રામ સુધી: ₹૧૦૦
'જ્ઞાન પોસ્ટ' સેવા હેઠળ બુકિંગ માટે ન્યૂનતમ વજન ૩૦૦ ગ્રામ અને મહત્તમ વજન ૫
કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યું છે.
'જ્ઞાન પોસ્ટ' સેવા હેઠળ સરકાર માન્ય શિક્ષણ બોર્ડ, યુનિવર્સિટીઓ, સ્વાયત્ત અને વૈધાનિક
સંસ્થાઓ દ્વારા પત્રવ્યવહાર (correspondence) અને નિયમિત અભ્યાસક્રમો માટે નિર્ધારિત
પુસ્તકો અને અભ્યાસ સામગ્રી મોકલી શકાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવાતાં પાઠ્યપુસ્તકો, સામાજિક, સાંસ્કૃતિક
અને ધાર્મિક પ્રકૃતિનું સાહિત્ય, જે સંબંધિત કાયદા મુજબ પ્રકાશિત થયેલું હોય તે પણ મોકલી
શકાય છે.
'જ્ઞાન પોસ્ટ' સેવાની મહત્ત્વપૂર્ણ શરતો અને પ્રતિબંધો નીચે મુજબ છે:
• પેકેટ પર સ્પષ્ટપણે 'Gyan Post' લખેલું હોવું જોઈએ.
• નિયમિત સમયાંતરે પ્રકાશિત થતાં સામયિકો (જેમ કે મેગેઝિન, જર્નલ વગેરે) મોકલી
શકાશે નહીં.
• વ્યાપારી કે ધંધાકીય પ્રકારનાં પુસ્તકો મોકલી શકાશે નહીં.
• પુસ્તકોમાં પુસ્તકોની સૂચિ કે આકસ્મિક ઘોષણાઓ સિવાય અન્ય કોઈ જાહેરાતો હોવી
જોઈએ નહીં.
• દરેક પુસ્તકમાં પ્રિન્ટર અથવા પ્રકાશકનું નામ હોવું ફરજિયાત છે.

• પેકેટમાં પત્ર વ્યવહાર જેવી કોઈ વ્યક્તિગત નોંધ કે સંદેશા મોકલી શકાશે નહીં.
• પેકેજિંગ એવું હોવું જોઈએ કે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સરળતાથી તપાસ કરી શકે
(સીલ તોડ્યા વિના કે કાગળ ફાડ્યા વિના).
• આ શરતોનું ઉલ્લંઘન થતું જણાશે તો પેકેટને સામાન્ય પાર્સલ ગણીને નિયમ મુજબ
બમણા તફાવતની રકમ વસૂલવામાં આવશે.
• પ્રેષક અને પ્રાપ્તકર્તાના પૂરા નામ, સરનામા અને પિનકોડ લખવા ફરજિયાત છે.
'જ્ઞાન પોસ્ટ' હેઠળ વસ્તુઓનું બુકિંગ કોઈપણ વિભાગીય પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરથી કરાવી
શકાશે. ગ્રાહકો વધારાની સુરક્ષા માટે નિર્ધારિત શુલ્ક ચૂકવીને રજિસ્ટ્રેશન અને વીમા જેવી
મૂલ્યવર્ધિત સેવાઓનો લાભ પણ લઈ શકે છે. આ ઉપરાંત, ચોક્કસ શરતોને આધીન, પ્રેષક
નિર્ધારિત ફી ભરીને પોસ્ટ કરેલી વસ્તુ પાછી ખેંચી શકે છે અથવા તેનું સરનામું બદલી શકે છે
(જો વસ્તુ ડિલિવરી માટે ઇન્વોઇસ ન થઈ હોય).
'જ્ઞાન પોસ્ટ' સેવા ખાસ કરીને વિદ્યાર્થીઓ, દૂરસ્થ શિક્ષણ મેળવતા લોકો, શૈક્ષણિક સંસ્થાઓ,
પુસ્તકાલયો અને જ્ઞાનની વહેંચણી કરવા માગતા વ્યક્તિઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત
થશે. આ પોસાય તેવી સેવા દ્વારા, ખાસ કરીને ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં, શૈક્ષણિક
સંસાધનોની ઉપલબ્ધતા વધશે અને જ્ઞાનના પ્રસારને નવી દિશા મળશે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!