રાજકોટ શહેરના ભયજનક જળાશયોમાં પ્રવેશ સંદર્ભે પ્રતિબંધાત્મક હુકમો
ગુજરાતમાં નદી, તળાવો, નહેર, દરિયામાં નહાવા પડેલી વ્યકિતઓનું ડૂબી જવાથી મોત થવાની દુર્ઘટના નિવારવા રાજકોટ શહેર પોલિસ કમિશ્નશ્રી બ્રજેશકુમાર ઝાએ આદેશો જારી કર્યા છે.

રાજકોટ તા. ૦૫ મે – ગુજરાતમાં નદી, તળાવો, નહેર, દરિયામાં નહાવા પડેલી વ્યકિતઓનું ડૂબી જવાથી મોત થવાની દુર્ઘટના નિવારવા રાજકોટ શહેર પોલિસ કમિશ્નશ્રી બ્રજેશકુમાર ઝાએ આદેશો જારી કર્યા છે.
જે મુજબ નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી આજી નદીનો કાંઠો, સંત કબીર ટેકરી પાસે લાલપરી તળાવ, ભગવતીપરા અને બેડીપરા પાસે આજી નદીનો કાંઠો, ભાવનગર હાઇ-વે રોડ સાઇડ આજી ડેમનો પૂર્વ બાજુનો કાંઠો, ખોખડદળ ગામમાં ખોખડદળ નદી, જુના માર્કેટીંગ યાર્ડ પાસે રાંદરડા તળાવ, ત્રંબા ગામમાં ત્રિવેણી નદીનો સંગમ કાંઠો, નવા રૂડા રીંગ રોડ પાસે કાળીપાટ ગામનો ડેમ, સરધાર ગામમાં દરબાર ગઢ પાસે ડેમ, જામનગર રોડ પર ઇશ્વરીયા પાર્કનું તળાવ, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવર, રોલેક્ષ સરોવર અને પરશુરામ મંદીર પાછળ તળાવ, યુનિવર્સીટી કેમ્પસમાં મેલડી માતાના મંદિરની સામે તળાવ, યુનિવર્સીટી ચાર રસ્તા પર પ્રશીલ પાર્કની પાછળ તળાવ, વેજાગામ પાસે તળાવ, રૈયા ગામ તળાવ, કાલાવાડ રોડ પર ન્યારી ડેમ -૧, મવડી ગામમાં કોપર એલીગન્સ સરોવર, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લાખાણી સરોવર, રંગોલી પાર્ક પાસે વીરવરુ સરોવર, નાના મૌવા ગામમાં પવિત્રમ પ્રયાગ સરોવર અને પાબારી સરોવર, કાલાવાડ રોડ પર જીબીયા સરોવર, કણકોટ રોડ પર સમન્વય સરોવરમાં પ્રવેશ સંદર્ભે પ્રતિબંધ મુકાયો છે.
આપત્તિના સમયમાં સરકારી ફરજ પર હોય તેવા વ્યક્તિઓને આ પ્રતિબંધાત્મક હુકમો લાગુ પડશે નહીં. ૩૦ જૂન, ૨૦૨૫ સુધી અમલમાં રહેનારા આ હુકમોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.