ધ્રાંગધ્રા ખાતે NEET પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના
સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે તા. ૪ મે, રવિવારના રોજ ધો. ૧૨ સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે જરૂરી એવી 'નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-નીટ'ની પરીક્ષાનું કુલ પાંચ કેન્દ્રો પર આયોજન કરાયુ છે

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે તા. ૪ મે, રવિવારના રોજ ધો. ૧૨ સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે જરૂરી એવી ‘નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-નીટ’ની પરીક્ષાનું કુલ પાંચ કેન્દ્રો પર આયોજન કરાયુ છે. જેમાં ૧,૩૩૪ વિદ્યાર્થીઓ નીટની પરિક્ષા આપશે. પરીક્ષા માટે સુરેન્દ્રનગર શહેરમાં ૩ અને ધ્રાંગધ્રા શહેરમાં ૨ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.
ધ્રાંગધ્રા શહેરમાં ૨ કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાનાર છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી છે.
આ સૂચના અનુસાર, જે લોકોને કેન્દ્રીય વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે કેન્દ્ર હોય તે વિદ્યાર્થીઓએ લેક TCP ગેટ પરથી પ્રવેશ લેવાનો રહેશે. તેમજ વાલીઓએ પોતાનું વાહન મુખ્ય હાઇવે પર પાર્ક નહીં કરતા લેક TCP ગેટ ખાતે પાર્ક કરવાના રહેશે. ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઇવે પર આવેલા ગેટ (ઉમરાવ ગેટ) પર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં જેની ખાસ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.