સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજનાર ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વીડિયો કોન્ફરન્સમાં તમામ જિલ્લાના પદાધિકારીશ્રી/અધિકારીશ્રી સાથે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે.મુછાર વગેરે જોડાયા હતા.
આ વીડિયો કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અન્વયે આવતી કાલે રાજકોટ ખાતે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ પણ યોજાનાર છે.
આગામી ૧૭ થી ૩૦ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને તમિલના જોડાણ અંગે ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે.