વિવિધ જાતોના ૩૦૦૦થી વધુ વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લેતા શાપરવાસીઓ
ગ્રામજનો અને સામાજીક અગ્રણીશ્રીઓ સરકારી જમીન પર
આગામી ૧૫ દિવસમાં “ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ” પૂર્ણ કરશે
રાજકોટ તા. ૧૭ ઓગસ્ટ – દેશને હરિયાળો અને પર્યાવરણની દ્રષ્ટિએ સ્વચ્છ બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ માં કે નામ” અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન જનભાગીદારીથી જ પૂર્ણ કરી શકાય છે. આથી, વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકને એક વૃક્ષ વાવે અને એ વૃક્ષનું જતન કરે તેવી અપીલ કરી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે સરકારી જમીન પર દબાણો દુર કરીને “ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ” શરૂ કરવામાં આવી છે.
આ ડ્રાઈવ અન્વયે શાપરવાસીઓએ ૧૦૦ પ્રકારના જુદા-જુદા ૩૦૦૦થી વધુ વૃક્ષો આવનાર ૧૫ દિવસમાં વાવવાનો અને આ વૃક્ષોની સતત ત્રણ વર્ષ સુધી માવજત કરવાનો સંકલ્પ ગ્રહણ કર્યો છે. આ સંકલ્પને સાર્થક કરવા ગામના સરપંચશ્રી જયેશભાઈ કાકડીયા, સી.આઈ.એ. કંપનીના મેનેજરશ્રી, સદભાવના વૃધ્ધાશ્રમના પ્રતિનિધિશ્રીઓ, અગ્રણીશ્રી પોપટભાઈ, શ્રી ધર્મેશ ટીલાળા, કોટડાસાંગાણી મામલતદારશ્રી જી.બી.જાડેજા, સી.એચ.સી.ના મેડિકલ ઓફિસરશ્રી સહીત ગ્રામજનોએ યોગદાન આપ્યું હતું.