ત્રણ પ્લેટફોર્મ ઉચા લેવાયા, અન્ય બે લંબાવાયા:પે એન્ડ યુઝ ટોઈલેટ, એસી.વેઈટીંગરૂમ, સબ-વે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
ગોંડલ,તા.26
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશનનાં પુન:વિકાસ તથા 1500 રોડ ઓવરબ્રિજ, અડરપાસ નાં શિલાન્યાસ લોકાર્પણ અંતર્ગત રૂ. 6 કરોડ નાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલ નાં હેરિટેઝ રેલ્વે સ્ટેશન નું વર્ચુઅલ ઉદ્ધાટ આજે સવારે 10:45 કલાકે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે કરાયુ હતુ.રેલ્વે નાં ભાવનગર ડીવીઝન મેનેજર ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર ડીવીઝનનાં સિનિયર ડીઇઇ રમેશચંદ્ર મીના ઉપરાંત ગોંડલ મહારાજા સર હિમાંશુસિંહજી ,સાંસદ રમેશભાઈ ધડુક, ,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, જયંતિભાઈ સાટોડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા ,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
ગોંડલ મહારાજા સર ભગવતસિહ સૌરાષ્ટ્ર માં રેલ્વેનાં પાયોનિયર ગણાય છે.સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વે શરુ કરવાનું બહુમાન સર ભગવતસિહને ફાળે જાય છે.ગોંડલનાં રેલ્વે સ્ટેશનની સ્થાપનાં ભગવતસિહ બાપુ દ્વારા સને 1932માં કરાઇ હતી.તે પહેલા હાલ નગરપાલિકા કચેરી જ્યાં બેસે છે તે બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન હતુ.સુવર્ણ મહોત્સવ નગર વેળા સ્ટેશન પ્લોટનાં વિસ્તરણ સમયે હાલનું રેલ્વે સ્ટેશન બંધાયુ હતુ.
ગોંડલ તથા જેતલસરનાં રેલ્વે સ્ટેશન હેરિટેઝની વ્યાખ્યામાં હોય બિલ્ડીંગની તોડફોડ વગર રિનોવેશન કરાયા છે.ગોંડલ રેલ્વે સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મને ઉંચા લેવાયા છે.અને બે પ્લેટફોર્મને લંબાવાયા છે.ઉપરાંત પે એન્ડ યુઝ ટોઇલેટ, એસી.વેઇટિંગરુમ,ઇન્ડીકેટર,એનાઉન્સમેન્ટ,એક થી બીજા પ્લેટફોર્મ પર જવા આવવા સબવે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.
ગોંડલ રેલ્વે સ્ટેશન પર રોજીંદા 18 થી 20 ટ્રેન તથા 8 થી 10 ગુડ્સ ટ્રેનની અવરજવર રહે છે.ત્યારે રેલ્વે સ્ટેશનની નવી સુવિધાઓ ગોંડલ પંથક માટે આશિર્વાદ રુપ બનશે.
Author: ભાગવત ભૂમિ
Hi