એક વીસ ગામ દશાખડાયતા સીનીયર સીટીઝન મંડળની માસિક સભા તારીખ ૧૮-૦૫-૨૦૨૪ના રોજ પ્રાણકુંજ સોસાયટી, પુષ્પકુંજ, કાંકરિયા, અમદાવાદ ખાતે યોજાઇ હતી. જેમા ખાસ વક્તા તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર ( DLSA )ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક અને માનદ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ ( PLV ) શ્રી અનિલ કક્કડ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સમાજના તમામ નગરિકોને સ્વાસ્થ્ય સારું રાખવા માટેના ઉપાયો જણાવ્યા હતા. ખાસ કરીને હાલના સંજોગોમા જવાબદાર ગણી શકાય તેવા પરિબળો બેઠાડુ જીવન, ફાસ્ટ ફૂડ, અસમતુલિત ખોરાક, અનિયમિત જીવન શૈલી, સ્થૂલતા, કસરતનો અભાવ, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, હાઇ બ્લડ પ્રેસર, કોલેસ્ટેરોલ, બ્લડ સુગર, વ્યસનના મુદ્દાઓ ક્રમાનુસાર અલગ તારવી દરેક મુદ્દા ઉપર સવિસ્તર સમજુતી આપી હતી. આહાર-વિહાર, વિચાર, વ્યાયમ, વ્યસન અને ઔષધ બાબતે જો કોઇ માણસ સાવચેતી વર્તે તો લાંબો સમય સુધી પોતાનુ રાબેતા મુજબનુ જીવન શક્ય બનાવી શકે તેમ છે. કૌટુંબિક ઇતિહાસ ધ્યાનમાં લઇ શારીરિક તપાસ, થોડા બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી, સોનોગ્રાફીના ટેસ્ટ તેઓએ જરૂરી ગણાવ્યા હતા. સાયબર ક્રાઇમ, હનીટ્રેપથી કઇ રીતના સાવચેત રહેવુ તે માટે પણ ઉદાહરણો આપ્યા હતા.
૩૦૦ થી પણ વધારે પુરુષો અને મહિલાઓ સમક્ષ શ્રી કક્કડએ તાજેતરમા જ અમલમા મુકાયેલ લગ્ન જીવન અંગેની તકરારો, વૈવાહિક વિવાદો, પારીવારિક મતભેદોનો ગોપનીય અને તટસ્થ વાતાવરણ વચ્ચે સમાધાનથી નિરાકરણ લાવવા એક આશાનુ કિરણ બની ઉજાસ તરીકે ન્યાય તંત્ર ની પહેલ બાબતે સર્વે ને વાકેફ કર્યા હતા. જેની પ્રક્રિયા, માહિતીનુ સાહિત્ય અને અરજી ફોર્મ સંસ્થાના હોદ્દેદારોને વિતરણ કર્યા હતા. જે માટે જન જાગૃતિને અનિવાર્ય ગણી હોદ્દેદારોએ તેઓના સભ્યો ને વાકેફ કરવા ખાત્રી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અધ્યક્ષ શ્રી મુકેશ શાહ અને ઉપા અધ્યક્ષ ભુપેન્દ્ર ભગત દ્વારા ભારે જહેમત સાથે આયોજન કર્યુ હતુ .